ગ્રાહક જાગો... અહીં ન્યાય મળશે! ટિકિટના પૈસા 3 વર્ષ દબાવી રાખનાર 'Yatra Online' ને કોર્ટે પાઠ ભણાવ્યો, જાણો આખો કિસ્સો
4 hours from now
ડિજિટલ યુગમાં ઓનલાઈન બુકિંગ શોપિંગ વધ્યું છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકો છેતરાય પણ છે. ટ્રાવેલ એપ્લિકેશન્સ દ્વારા ટિકિટ બુક કરાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સામાં વળતર મેળવવાનો આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. સામાન્ય રીતે એરલાઇન્સ કંપનીઓ રિફંડ આપવામાં વાર કરતી હોય છે, પરંતુ જ્યારે ખુદ ટ્રાવેલ એજન્સી જ એરલાઇન્સ પાસેથી પૈસા આવી ગયા હોવા છતાં ગ્રાહકના પૈસા દબાવીને બેસી રહે, ત્યારે ગ્રાહક ક્યાં જાય? તમિલનાડુની એક ગ્રાહક અદાલતે (Consumer Commission) આવા જ એક કેસમાં જાણીતા ટ્રાવેલ પ્લેટફોર્મ 'Yatra Online' ને ગ્રાહક સાથે કરેલી આ માનસિક હેરાનગતિ બદલ કુલ ₹ 60000 ચૂકવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે. તંજાવુર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ટી. સેકર અને સભ્ય કે. વેલુમણીની બેન્ચે આ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે, એરલાઇન્સ તરફથી પૈસા મળ્યા પછી પણ ગ્રાહકને રિફંડ આપવામાં 3 વર્ષનો અક્ષમ્ય વિલંબ કરવો એ સર્વિસમાં મોટી ખામી અને ગેરવાજબી વ્યાપારી રીતરસમ છે. જે ચલાવી લેવાય નહિં. કોરોના કાળની ટિકિટ, રિફંડ માટે ધક્કા! ટ્રાવેલ એજન્સી દ્વારા ગ્રાહક સાથે કરાયેલ છેતરપિંડીની આ સમગ્ર કાનૂની લડાઈ વિશે વિગતે જાણીએ. ઘટના ક્યારની છે?: એક મુસાફરે કોરોના મહામારી દરમિયાન, 9 જૂન 2020 ના રોજ યાત્રા (Yatra) એપ દ્વારા મુંબઈથી ચેન્નઈની સ્પાઇસજેટ (SpiceJet) ફ્લાઇટ બુક કરાવી હતી. આ માટે તેમણે ટિકિટના ₹4301 અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સના ₹269 ચૂકવ્યા હતા. જોકે લોકડાઉનના કારણે આ ફ્લાઇટ કેન્સલ થઈ હતી. એરલાઇન્સે પૈસા આપ્યા : ચોંકાવનારી બાબત એ છે કે સ્પાઇસજેટ એરલાઇન્સે 17 જાન્યુઆરી, 2021 ના રોજ જ ટિકિટના રિફંડના પૈસા યાત્રા ઓનલાઈનને ટ્રાન્સફર કરી દીધા હતા. ટ્રાવેલ એજન્સીની બેદરકારી: એરલાઇન્સ પાસેથી પૈસા આવી ગયા હોવા છતાં, યાત્રા ઓનલાઈન કંપનીએ મુસાફરને કોઈ પણ કારણ આપ્યા વિના પૂરા ત્રણ વર્ષ સુધી પૈસા ન આપ્યા. અંતે, મુસાફરે જ્યારે લીગલ નોટિસ ફટકારી, ત્યારે છેક 11 ડિસેમ્બર, 2023 ના રોજ તેને પૈસા પાછા મળ્યા. અદાલતે નોંધ્યું કે, કંપનીની આ પ્રકારની બેદરકારીના કારણે ગ્રાહકને વારંવાર રજૂઆતો કરવી પડી અને કાનૂની કાર્યવાહીનો સહારો લેવો પડ્યો, જેનાથી તેને ભારે માનસિક આઘાત અને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આથી કોર્ટે યાત્રા ઓનલાઈનને ₹ 50000 વળતર અને ₹ 10000 કાનૂની લડાઈનો ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો. સ્પાઇસજેટ અને ઇન્સ્યોરન્સ કંપની કેમ બચી ગઈ? ગ્રાહકે આ કેસમાં સ્પાઇસજેટ એરલાઇન્સ અને વીમા કંપનીને પણ પક્ષકાર બનાવ્યા હતા, પરંતુ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા: સ્પાઇસજેટ: અદાલતે કહ્યું કે એરલાઇન્સે સમયસર પૈસા યાત્રા ઓનલાઈનને મોકલી દીધા હતા, તેથી ગ્રાહકને પૈસા મોડા મળવા પાછળ એરલાઇન્સની કોઈ ભૂલ નથી. ઇન્સ્યોરન્સ કંપની: વીમા પોલિસીના નિયમો મુજબ, જો એરલાઇન્સ પોતે ફ્લાઇટ કેન્સલ કરે, તો તેનો ક્લેમ મળવાપાત્ર હોતો નથી, આથી વીમા કંપનીની જવાબદારી બનતી નથી. બીજી ઘટના: બિયરની બોટલ પર ₹10 વધુ લેવા ભારે પડ્યા! ગ્રાહક સુરક્ષાને લગતો આવો જ બીજો એક રસપ્રદ કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. કેરળના કન્ઝ્યુમર ફોરમે સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન (KSBC) ને એક ગ્રાહકને ₹ 25000 નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગુનો શું હતો?: આ સરકારી દુકાને ગ્રાહક પાસેથી બિયરની બોટલ પર છાપેલી કિંમત (MRP) કરતાં માત્ર ₹ 10 વધુ વસૂલ્યા હતા. કોર્ટનું વલણ: કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એમઆરપી (MRP) કરતાં એક પણ રૂપિયો વધુ લેવો એ ગ્રાહક સાથે છેતરપિંડી અને 'અનફેર ટ્રેડ પ્રેક્ટિસ' છે. ગ્રાહકે આ ₹ 10 માટે કોર્ટના ધક્કા ખાવા પડ્યા હોવાથી તેને આ વળતર મળવું જ જોઈએ. તમારા માટે ઉપયોગી માર્ગદર્શન FAQs જો કોઈ ઓનલાઈન એપ રિફંડ ન આપે તો ગ્રાહકે શું કરવું જોઈએ? સૌપ્રથમ કંપનીને ઇમેલ દ્વારા લેખિત ફરિયાદ કરો. જો કોઈ સંતોષકારક જવાબ ન મળે, તો ગ્રાહક રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) નો સંપર્ક કરી શકે છે અથવા ગ્રાહક અદાલતમાં (ઈ-દાખલ પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ) કેસ દાખલ કરી શકે છે. શું ગ્રાહક અદાલતમાં વકીલ રોકવો ફરજિયાત છે? ના, ગ્રાહક અદાલતની પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે. ગ્રાહક વકીલ રાખ્યા વિના, પોતે જ સાદા કાગળ પર પોતાની ફરિયાદ અને પુરાવા (બુકિંગ આઈડી, પેમેન્ટ પ્રૂફ અને ઇમેલ) રજૂ કરીને ન્યાય મેળવી શકે છે. આ પણ વાંચો । Stray Dogs SC Verdict: 'ડોગ બાઈટ ચિંતાનો વિષય', સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ પર મોટો ચુકાદો આપ્યો આ બંને ચુકાદાઓ દેશના કરોડો ડિજિટલ ગ્રાહકો માટે એક મોટી જીત સમાન છે. ઘણીવાર ગ્રાહકો નાની રકમ માટે કોર્ટના ધક્કા ખાવાનું ટાળતા હોય છે અને મોટી કંપનીઓ આ જ વાતનો ફાયદો ઉઠાવે છે. પરંતુ આ કિસ્સાઓ સાબિત કરે છે કે જો તમે તમારા હક્કો માટે અવાજ ઉઠાવશો, તો કાયદો તમને વ્યાજ સહિત વળતર અપાવશે.
Click here to Read more
