Editor's View: બંગાળમાં મહારાષ્ટ્ર મોડલથી TMCમાં બળવો:દીદી પાસેથી ચૂંટણી ચિહ્ન પણ છીનવાઇ શકે, સંસદમાં બે તૃતિયાંશ બહુમતીનો ભાજપનો ખતરનાક ગેમ પ્લાન
5 days ago
2022નું વર્ષ યાદ કરો. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનો જમણો હાથ ગણાતા એકનાથ શિંદે 30 ધારાસભ્યોને લઈને સુરત પહોંચી ગયા. શિવસેનાના પાયા હચમચી ગયા. શિવસેનામાં બે ભાગ પડી ગયા. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને એકનાથ શિંદેની શિવસેના. બરાબર 4 વર્ષ પછી બંગાળમાં ભાજપ આ જ મોડેસ ઓપરેન્ડી પર કામ કરે છે. તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં તો ન જ આવી, હવે વિપક્ષમાં ય ન બેસી શકે તેવી ટાઈટ સ્ટ્રેટેજી ગોઠવી છે. TMCના રાષ્ટ્રીય પ્રવક્તા રિજુ દત્તાએ પાર્ટીથી છેડો ફાડી નાખ્યો છે ને કહ્યું છે કે મારી સાથે TMCના 50 ધારાસભ્યો છે અને અમારી TMC ઓરિજીનલ છે. પાર્ટીનું ચિહ્મ પણ અમારું ગણાશે. મમતા અને અભિષેક બેનર્જીને ચૂંટણીમાં હારની કળ નહોતી વળી ત્યાં નવું સંકટ આવી ગયું છે. નમસ્કાર, 2022માં રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે જ ભાજપે મહારાષ્ટ્રમાં ખેલ પાડ્યો હતો. હવે ફરી રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ બંગાળમાં નવો જ ગેમ પ્લાન ગોઠવી રહ્યો છે, એ છે બે તૃતિયાંશ બહુમતીનો ગેમ પ્લાન. રાજ્યસભામાં NDA અત્યારે બે તૃતિયાંશ બહુમતી મેળવવામાં 15 સીટ જ પાછળ છે અને બંગાળ આ મોટો ખાડો પૂરો કરી શકે તેમ છે. બીજી તરફ મમતા બેનર્જી અને તેના ભત્રીજા અભિષેક બેનર્જી બંગાળને તો ન બચાવી શક્યા પણ હવે પાર્ટીને કેવી રીતે બચાવવી તેના હવાતિયાં મારી રહ્યાં છે. બંગાળમાં TMCમાં બળવો કેવી રીતે થઈ રહ્યો છે? મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ શકે છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા નેતા રિજુ દત્તાએ દાવો કર્યો છે કે 80માંથી 50થી વધુ ધારાસભ્યો પોતાને અસલી તૃણમૂલ ગણાવવાની તૈયારી કરી રહ્યા છે. આ તમામ ધારાસભ્યો વિધાનસભા સ્પીકર પાસે જશે અને ત્રણ મુદ્દા ઉઠાવશે. પહેલો - અમે જ અસલી તૃણમૂલ કોંગ્રેસ છીએ. બીજો, વિપક્ષના નેતા ઋતબ્રત હશે, શોભનદેવ નહીં. ત્રીજો, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે, તેથી ચૂંટણી ચિહ્ન અમારું હોવું જોઈએ. છેલ્લી ચૂંટણી પછી બંગાળમાં TMCના 80 ધારાસભ્યો છે. નવા જૂથને માન્યતા માટે બે-તૃતીયાંશ એટલે કે 54 ધારાસભ્યોની જરૂર પડશે. આનાથી ઓછા ધારાસભ્યો હોવા પર સ્પીકર નવા જૂથને માન્યતા નહીં આપે. વિભાજનનો દાવો કરનાર રિજુ દત્તા ધારાસભ્ય નથી. આ તરફ, TMCમાંથી હાંકી કઢાયેલા 2 ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીએ કોલકાતાની MLA હોસ્ટેલમાં TMCના ઘણા ધારાસભ્યો સાથે મીટિંગ કરી. તેમાં મમતાના ઘણા ખાસ ધારાસભ્યો પણ સામેલ થયા. મમતાએ ત્રણ મિટિંગ બોલાવી, ધારાસભ્યો ઘટતા ગયા બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યા પછી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના 80 ધારાસભ્યો જીત્યા છે. મમતા બેનર્જીએ નવી રણનીતિ બનાવવા માટે અલગ અલગ મિટિંગ બોલાવી, પણ જ્યારે મિટિંગ બોલાવી ત્યારે ધારાસભ્યો મિટિંગમાં ઘટતા ગયા. હવે વિચાર કરો, 80 ધારાસભ્યોમાંથી 60 ધારાસભ્યો આવે જ નહીં તો પાર્ટીની આબરૂ શું રહી? મમતા બેનર્જીએ મિટિંગ કેન્સલ કરવી પડી અને તરત ફેસબુક પર લાઈવ આવ્યાં. તેમણે કહ્યું કે, હું 2 જૂને કોલકત્તામાં વિરોધ પ્રદર્શન કરીશ. મને અહીંયા મંજૂરી નહીં મળે તો દિલ્હી જઈને વિરોધ કરીશ. રિજુ દત્તાએ શું કહ્યું? તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રિજુ દત્તા પાર્ટીથી અલગ થઈ ગયા. પછી મમતા અને ખાસ કરીને અભિષેક બેનર્જી પર પ્રહારો કર્યા છે. બંગાળમાં નકલી સહીનો મામલો સળગ્યો, જાણો શું છે આ પ્રકરણ… વાત એમ છે કે બંગાળમાં સરકાર ભાજપની બની. વિરોધ પક્ષમાં તૃણમૂલ કોંગ્રેસ છે. વિધાનસભામાં TMC તરફથી વિરોધપક્ષના નેતા કોણ? તેની ગડમથલ ચાલે છે. મમતા તો પોતાનું ધાર્યું જ કરતાં આવ્યાં છે. આ વખતે પણ એવું જ કર્યું. તેમણે વિરોધપક્ષના નેતા તરીકે શોભનદેવ ચટ્ટોપાધ્યાયની પસંદગી કરી લીધી. પોતાના કેટલાક ધારાસભ્યોને પૂછ્યું પણ નહીં. નિયમ એવો છે કે વિરોધ પક્ષના નેતા તરીકે જેની પસંદગી થઈ હોય તેના નામ સાથેનો લેટર વિધાનસભા સ્પીકરને સોંપવાનો હોય છે. લેટરમાં તમામ ધારાસભ્યોની સહી હોવી જોઈએ. TMCએ વિધાનસભા અધ્યક્ષને જે લેટર આપ્યો તેમાં 70 ધારાસભ્યોની સહી હતી અને તેમાંથી 13 સહી નકલી હતી. આનો સૌથી પહેલો આરોપ CM શુભેન્દુ અધિકારીએ જ લગાવ્યો. શુભેન્દુએ તો જાહેરમાં કહ્યું કે, આ 13માંથી બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુબ્રત બંદોપાધ્યાયે સ્પીકર સમક્ષ કબૂલી પણ લીધું છે કે લેટરમાં પોતાની સહી નથી. અમારી જાણ બહાર સહી કરાઈ છે. આનાથી બંગાળનું રાજકારણ વધુ ગરમાયું. મમતાએ બંને ધારાસભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. આ આખો મામલો હવે CID પાસે પહોંચ્યો છે. CIDએ તમામ 13 ધારાસભ્યોની પૂછપરછ કરી લીધી છે. હવે અભિષેક બેનર્જીને નોટિસ મોકલી છે. અભિષેક બેનર્જીએ તબિયત સારી નથી. 15 દિવસ પછી હાજર થઈશ એવું કહી દીધું. આજે CIDએ ફરી નોટિસ આપીને 8 જૂને હાજર રહેવા ફરમાન કર્યું છે. TMC પાર્ટી ખાલી થવા લાગી, ધડાધડ રાજીનામાનો દોર ભાજપનો રાજ્યસભા અને લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીનો ગેમપ્લાન શું છે? મોટાભાગના રાજ્યોમાં ભાજપ અને NDAની સરકાર છે. છતાં લોકસભા અને રાજ્યસભામાં ભાજપ પાસે બે તૃતિયાંશ બહુમતી નથી. જો બે તૃતિયાંશ બહુમતી હોય તો કોઈપણ બિલ પસાર કરવામાં સમસ્યા ન થાય. અત્યારે રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપની પહેલી નજર રાજ્યસભા પર છે. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 છે. NDAના સાંસદો 148 છે. કુલ સાંસદો 245 છે. બે તૃતિયાંશ માટે ભાજપ માત્ર 15 સીટ પાછળ છે ને બંગાળ ઘણા અંશે ખાડો પૂરી શકે છે. ભાજપના એક લીડર પાસે બે પાનાનું લિસ્ટ છે. એકમાં TMCના લોકસભા સાંસદો અને રાજ્યસભાના સાંસદોના નામ છે. રાજ્યસભામાં ટીએમસીના 13 સાંસદો છે. તેમાં બે મુસ્લિમ છે. નદ્દીમ ઉલ હક્ક, સમીલ ઉલ ઈસ્લામ. બાકીના સાંસદો ધીમે ધીમે રાજીનામું આપશે ને ભાજપ પોતાના સાંસદોને ઉતારશે. રાજ્યસભામાં બે તૃતિયાંશ બહુમતી મેળવવામાં ભાજપ 15 સીટ જ પાછળ છે. એવી રીતે લોકસભામાં ટીએમસીના 28 સાંસદો છે. તેમાં 3 સાંસદો મુસ્લિમ છે. સજદા અહેમદ, અબ તાહિર ખાન અને ખલીલ ઉર રહેમાન. 3 સાંસદો બહારના છે. કીર્તી આઝાદ, શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણ. આ 6ને તો ભાજપે પડતા જ મૂકશે. આગામી ચૂંટણીમાં તેમને ભાજપ બંગાળમાંથી ટિકિટ નહીં આપે એ નક્કી. પણ અત્યારે TMCના 42 સાંસદો છે તેમાંથી 20 ભાજપમાં જોડાઈ જવા તૈયાર છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ આ ખેલ પણ પાડી દે તો નવાઈ નહીં. ભાજપનો એજન્ડા એક જ છે કે સંસદમાં બે તૃતિયાંશ બહુમતી મેળવી લેવી. TMC તૂટી જશે? આ રહી 3 સંભાવના... એક સમય હતો, ભાજપના નેતા પર હુમલા થતા; હવે TMCના નેતાઓ પર હુમલા થાય છે પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક બેનર્જી સાથે દક્ષિણ સોનારપુરમાં શનિવારે મારામારી થઈ. ઘટના પર અભિષેકે કહ્યું- મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો મમતા બેનર્જીએ કહ્યું- સત્તાધિશો હત્યારા બની ગયા, ભાજપને શરમ આવવી જોઈએ. ઘટના પછી અભિષેક બેનર્જીને કોલકાતાની બેલે વ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટર્સે કહ્યું કે દર્દીને છાતી પર ઉઝરડા સિવાય કોઈ ગંભીર શારીરિક ઈજા થઈ નથી. દર્દી સંપૂર્ણ ભાનમાં છે. તેને હોસ્પિટલમાં દાખલ કરી રાખવાની કોઈ જરૂર નથી. TMCના સાંસદ કલ્યાણ બેનર્જી એક કાર્યક્રમમાં જવા માટે કારમાંથી ઉતર્યા ત્યારે કેટલાક લોકોએ તેમને ખેંચીને પછાડ્યા. જૈફ વયે તેમણે માર સહન કરવો પડ્યો. બંગાળમાં નેતાઓ પર હુમલા એ નવી વાત નથી. જ્યારે મમતાની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ પર હુમલા થયા છે. ભાજપ નેતા દિલીપ ઘોષને ટીએમસીના ગુંડાઓએ માર માર્યો હતો. જેપી નડ્ડા અને કૈલાસ વિજય વર્ગીય જેવા નેતાઓ પર જીવલેણ હુમલા થયા. જેપી નડ્ડા પર હુમલો થયો ત્યારે અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે બંગાળની જનતા ભાજપને નફરત કરે છે ને હુમલા કરે છે તો અમે શું કરીએ.. સમય બળવાન છે ને સમયચક્ર ફર્યું છે. હવે એ જ અભિષેક પર જનતા હુમલો કરે છે. હવે વાત મહારાષ્ટ્રના બળવાની.. જ્યાં શિવસેનામાં બે ફાંટા પડ્યા શિવસેનામાં સંકટની શરૂઆત કેવી રીતે થઈ? 10 જૂને 2022એ થયેલી રાજ્યસભાની ચૂંટણીથી જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સામે સંકટ ઊભું થયું હતું. રાજ્યસભાની 6 સીટ પર સત્તાધીશ મહાવિકાસ આઘાડી, એટલે કે શિવસેના + કોંગ્રેસ + NCPના 3 અને BJPના 3 ઉમેદવાર જીત્યા હતા. આમ, હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં BJP પાસે માત્ર 106 ધારાસભ્ય રહ્યા હતા. અપક્ષ મળીને આ સંખ્યા 113થી વધારે થતી હતી. રાજ્યસભા ચૂંટણીમાં તેમને 123 વોટ મળ્યા તો MLC ચૂંટણીમાં 134 વોટ મળ્યા હતા. આનો સીધો અર્થ એવો થાય કે BJPએ રાજ્યસભા ચૂંટણીમાં સત્તાપક્ષના 10 ધારાસભ્યો તોડ્યા હતા. જ્યારે MLC ચૂંટણીમાં BJPને 134 વોટ મળ્યા હતા, એટલે કે BJP સાથે સત્તાપક્ષના 21 ધારાસભ્ય આવી ગયા હતા. શિંદે 30 ધારાસભ્યને લઈને સુરત આવી ગયા પછી શું થયું? એકનાથ શિંદે ફડણવીસના સંપર્કમાં હતા. ભાજપ સાથે ગઠબંધનની વાતચીત ચાલતી હતી. તેઓ બસમાં 30 ધારાસભ્યને લઈને સુરતની એક હોટલમાં રોકાયા. મહારાષ્ટ્રના 30થી વધુ ધારાસભ્યોની સાથે ગુજરાતના સુરત પહોંચેલા એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની સામે ભાજપ સાથે ગઠબંધન કરવાની વાત મૂકી હતી. ઉદ્ધવે શિંદે સાથે વાતચીત કરવા માટે મિલિંદ નાર્વેકરને સુરત મોકલ્યા હતા. નાર્વેકર અને શિંદે વચ્ચે સુરતની લા મેરિડિયન હોટલમાં લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત કરાવી હતી. 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાતચીત કરવા પ્રસ્તાવ મૂક્યો, પણ શિંદે ભાજપ સાથે જોડાણ કરવા મક્કમ રહ્યા. એકનાથ શિંદે પોતાના સહિત શિવસેનાના 15, એક NCP અને 14 અપક્ષ ધારાસભ્યો હતા. શિંદે ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા અને તેમની સાથે શિવસેનાના બીજા બે મંત્રી પણ હતા. ગુજરાતથી તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવાયા હતા પહેલાં શિંદે અને અન્ય ધારાસભ્યો સુરત રોકાયા અને ત્યાંથી આસામના ગુવાહાટીના રેડિસન બ્લૂ રિસોર્ટમાં રોકાયા. અહીંથી શિંદે અને ફડણવીસ સતત ફોનથી સંપર્કમાં હતા. શિંદેની સાથે રહેલા ધારાસભ્યો મૂંઝાતા હતા કે અમે બળવો કરીને આવ્યા તો ખરા, પણ કાંઈ પરિણામ ન આવ્યું તો શું થશે? ત્યારે શિંદેએ તમામને ધરપત આપી હતી કે હું તમને કોઈને કાંઈ નહીં થવા દઉં. ઉદ્ધવ સરકાર શા માટે પડી ગઈ? એકનાથ શિંદેએ ઉદ્ધવ સરકારમાંથી બળવો કર્યો ત્યારે તેમની સાથે 30 ધારાસભ્યો હતા. એ વખતે 170 ધારાસભ્યો ઉદ્ધવના સમર્થનમાં હતા. આ સંજોગોમાં 30 ધારાસભ્યો તૂટે તો આ આંકડો ઘટીને 140 થઈ જાય. જ્યારે બહુમતીનો આંકડો 145 છે. આ સંજોગોમાં ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ અને ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દેવું પડ્યું. એ પછી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. પછી પણ ઘણા ઘટનાક્રમ બન્યા ને અત્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી છે અને શિંદે નાયબ મુખ્યમંત્રી છે. છેલ્લે, ‘સરકાર’ ફિલ્મનો ડાયલોગ આ ઘટનાક્રમમાં બંધ બેસે છે. जब आपके पास पावर होता है, तब रोंग भी राईट होता है… આ ફિલ્મ જેના પર બની હતી તે હતા, બાલા સાહેબ ઠાકરે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- યશપાલ બક્ષી)
Click here to Read more
