Explained: ભારતીયો બચત ખાતા થી FD તરફ ફંટાયા, RBIના રિપોર્ટમાં ખુલાસો
3 days ago
RBI Reports: ભારતમાં લોકો હવે તેમના બેંક ખાતામાં પૈસા રાખવાની રીત બદલી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ના નવા આંકડા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં મોટી સંખ્યામાં થાપણદારોએ ઓછા વ્યાજના બચત ખાતા માંથી નાણાં ઉપાડવાનું શરૂ કર્યું છે અને ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ (એફડી) માં રોકાણ કરવાનું શરૂ કર્યું છે જે ઉંચું વળતર આપે છે. આનાથી દેશમાં બેંક થાપણોના માળખામાં મોટો ફેરફાર થયો છે. RBI એ જણાવ્યું કે, કુલ બેંક થાપણોમાં બચત થાપણોનો હિસ્સો માર્ચ 2022માં 34.6 ટકાથી ઘટીને માર્ચ 2026માં 28.7 ટકા થયો છે, જે વધતા વ્યાજ દરના વાતાવરણમાં થાપણદારોની બદલાતી પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે. તેનાથી વિપરિત, આ સમયગાળા દરમિયાન FD થાપણનો હિસ્સો 55.2 ટકા વધીને 61.6 ટકા થયો છે, જે સૂચવે છે કે ગ્રાહકો વધુ સારા વળતરના બદલામાં નિશ્ચિત સમયગાળા માટે ભંડોળ લૉક કરવા તૈયાર છે. રિઝર્વ બેંકના 'એન્યુઅલ બેઝિક સ્ટેટિસ્ટિકલ રિટર્ન ઓન ડિપોઝિટ્સ' રિપોર્ટ માંથી આ તારણો નીકળે છે. બચત બેંક ખાતા પર ઓછો વ્યાજ દર 2025-26 દરમિયાન બચત બેંકના દરમાં ઘટાડાનું વલણ વધુ ઝડપી બન્યું હતું કારણ કે બેંકોએ સંસાધનો વધારવા અને ધિરાણ વૃદ્ધિને ટેકો આપવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર આકર્ષક દરો આપવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે, સમગ્ર બેંકિંગ સિસ્ટમમાં કુલ થાપણમાં નોંધપાત્ર વધારો થયો છે. બેંકો હવે બચત બેંક ખાતા પર ઓછું વ્યાજ ચૂકવે છે. સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) બચત ખાતા પર માત્ર 2.5 ટકા વ્યાજ આપે છે. છેલ્લા 10 વર્ષમાં સેવિંગ્સ બેંકના દરમાં લગભગ 6-7 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ એસબીઆઈ એક વર્ષની એફડી પર 6.25 ટકા અને બે વર્ષની થાપણો પર 6.45 ટકા વ્યાજ આપે છે. એચડીએફસી બેંક એક વર્ષની એફડી પર 6.25 ટકા અને બચત બેંક ખાતા પર 2.5 ટકા વ્યાજ આપે છે. RBI ના રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકોના બચત દરમાં ઘટાડો થયો હતો (જાન્યુઆરી 2025 થી, આરબીઆઈ એ રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 5.25 ટકા કર્યો છે) જે કુલ 1.25 ટકાનો ઘટાડો દર્શાવે છે. ખરીદ શક્તિમાં ઘટાડો જ્યારે બેંકોના બચત ખાતાના વ્યાજદર રિટેલ ફુગાવો કરતા ઓછા હોય છે, ત્યારે બચત પર વાસ્તવિક વળતર નકારાત્મક હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, બચત ખાતામાં પૈસાની ખરીદ શક્તિ સમય જતાં ઘટે છે. બેંકોના વર્તમાન બચત દર એપ્રિલના રિટેલ ફુગાવા 3.48% કરતા લગભગ 1 ટકા ઓછા છે. RBIના આંકડા અનુસાર, 15 મે, 2026 સુધીમાં, બેંકિંગ ક્ષેત્રની ડિમાન્ડ ડિપોઝિટ (SC અને ચાલુ ખાતા) 31.65 લાખ કરોડ રૂપિયા અને ટર્મ ડિપોઝિટ 225.23 લાખ કરોડ રૂપિયા હતી. ચાલુ ખાતા પર કોઈ વ્યાજ વળતર નથી મળતું. બચત ખાતાની થાપણો ગ્રાહકોને તેમના નાણાંની સરળ ઍક્સેસ આપે છે, જે તેમને કોઈપણ દંડ અથવા મોટા નુકસાન વિના કોઈપણ સમયે પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. RBI ના ડેટા દર્શાવે છે કે જ્યારે પરિવારો ભારતના ડિપોઝિટ બેઝનો મુખ્ય આધાર બની રહ્યા છે, ત્યારે બચત કરનારાઓ પરંપરાગત બચત ખાતાઓ કરતાં ફિક્સ્ડ ડિપોઝિટને વધુને વધુ પસંદ કરી રહ્યા છે, જેનાથી બેંકોની જવાબદારી પેટર્નમાં ફેરફાર થઇ રહ્યો છે અને નાણાકીય પ્રણાલીમાં ફિક્સ્ડ ડિપોઝિટની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યા છે. પરિવાર સૌથી મોટો સ્ત્રોત બેંકોમાં થાપણોના સૌથી મોટા સ્ત્રોત તરીકે પરિવારની હિસ્સેદારીમાં નજીવો ઘટાડો થવા છતાં તેઓએ તેમની સ્થિતિ જાળવી રાખી હતી. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, માર્ચ 2026 ના અંતમાં કુલ થાપણોમાં 59.3% પરિવારોનો હિસ્સો છે. જો કે, પરિવારો મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીને પસંદગીના રોકાણ વિકલ્પો તરીકે વધુને વધુ અપનાવી રહ્યા છે, કારણ કે તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ જેવા પરંપરાગત બચત સાધનોની તુલનામાં તેમાં વધુ વળતરની સંભાવનાથી આકર્ષિત થાય છે. અન્ય ક્ષેત્રોનું યોગદાન પણ વધ્યું છે. નોન ફાઇનાન્સિયલ સેક્ટરની થાપણોનો હિસ્સો એક વર્ષ અગાઉના 17.7 ટકાથી વધીને 18.5 ટકા થયો છે, જ્યારે નાણાકીય સંસ્થાઓની થાપણો સમાન સમયગાળામાં 6.8 ટકાથી વધીને 7.8 ટકા થઈ છે. મોટી રકમની FDનો દબદબો ફિક્સ્ડ ડિપોઝિટના આંકડાનું વિશ્લેષ્ણ કરીયે તો જાણવા મળે છે કે મોટી એફડી થાપણો પ્રભુત્વ ધરાવે છે. માર્ચ 2026 સુધીમાં, કુલ ફિક્સ્ડ ડિપોઝિટ માંથી 46.3% થાપણો 1 કરોડ રૂપિયા અને તેથી વધારે રકમની હતી. આ કેટેગરીમાં 5 કરોડ રૂપિયા અને તેથી વધુની થાપણો 34.8 ટકા છે. બીજી તરફ, આરબીઆઈના રિપોર્ટ અનુસાર, કુલ ફિક્સ્ડ ડિપોઝિટમાં 5 લાખ રૂપિયા સુધીની થાપણો 17.8 ટકા છે. થાપણદારો પણ સ્પષ્ટપણે મધ્યમ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટને પસંદ કરે છે. એકથી ત્રણ વર્ષમાં પાકતી મુદ્દતની ટર્મ ડિપોઝિટનો હિસ્સો માર્ચ 2022માં 50.4% થી વધીને માર્ચ 2026માં 69.8% થયો છે. આ દરમિયાન, એક વર્ષની મેચ્યોરિટી ધરાવતી થાપણોનો હિસ્સો 16.7 ટકાથી ઘટીને 8.8 ટકા થયો છે. આ વલણ બતાવે છે કે ગ્રાહકો લાંબા સમય સુધી સારું વ્યાજ દર મેળવવા માંગતા હતા. રિઝર્વ બેંક થાપણોની ઇન્ટરેસ્ટ રેટ પ્રોફાઇલમાં મોટા ફેરફાર અંગે ધ્યાન દોર્યું છે. માર્ચ 2026માં 7 ટકાથી ઓછું વળતર આપતી ટર્મ ડિપોઝિટનો હિસ્સો વધીને 61.8 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉ 27.3 ટકા હતો. આ બદલાતા વ્યાજ દરના ચક્ર અને બેંકિંગ સિસ્ટમમાં ડિપોઝિટ અને રિપ્રાઇઝિંગને પ્રતિબિંબિત કરે છે. આ દરમિયાન બેંક ડિપોઝિટમાં સિનિયર સિટીઝનનો હિસ્સો સ્થિર રહ્યો છે. તેમનું યોગદાન છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં 19.8-20.2% ની રેન્જમાં મોટાભાગે યથાવત્ રહ્યું હતું અને માર્ચ 2026 ના અંતે 20% હતું. થાપણોમાં વધારો આરબીઆઈના જણાવ્યા અનુસાર, માર્ચ 2026 ના અંત સુધીમાં શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs)ની થાપણોમાં વાર્ષિક ધોરણે 11.5% નો વધારો થયો છે, જે એક વર્ષ પહેલા 10.6% હતો. ઉલ્લેખનીય છે કે, તમામ વસ્તી જૂથોની બેંક શાખાઓમાં વર્ષ દરમિયાન થાપણોમાં ડબલ ડિજિટમાં વૃદ્ધિ નોંધાઈ છે, જે મોટા પાયે વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 26 દરમિયાન થાપણો એકત્રીકરણમાં જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધુ યોગદાન આપનાર તરીકે ઉભરી આવી હતી, જે બેંકિંગ સિસ્ટમ દ્વારા એકત્ર કરવામાં આવેલી વધારાની થાપણોમાં 50.8% હિસ્સો ધરાવે છે. ખાનગી ક્ષેત્રની બેંકોએ 38.6% યોગદાન આપ્યું છે, જે સૂચવે છે કે આ બંને સેગમેન્ટે નવી બચતને આકર્ષવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. RBI ના આંકડા એ પણ દર્શાવે છે કે થાપણો વધારવામાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ની ભૂમિકા ધીમે ધીમે ઘટી રહી છે. આરઆરબી દ્વારા રાખવામાં આવેલી થાપણોનો હિસ્સો માર્ચ 2026માં ઘટીને 2.9% થયો હતો, જે ચાર વર્ષ પહેલા 3.2% હતો, જે સૂચવે છે કે મોટી કોમર્શિયલ બેંકો સ્થાનિક અને સંસ્થાકીય થાપણોને આકર્ષવામાં અગ્રેસર છે.
Click here to Read more


