Mount Everest પર ઇતિહાસ રચાયો, 1 જ દિવસમાં 275 પર્વતારોહકોએ દુનિયાનું સૌથી ઉંચુ શિખર સર કર્યુ!
3 weeks ago
વિશ્વના સૌથી ઊંચા અને અદભુત શિખર માઉન્ટ એવરેસ્ટ પર ફરી એકવાર નવો ઇતિહાસ રચાયો છે. નેપાળ તરફથી આવેલા અહેવાલો મુજબ, તાજેતરમાં માત્ર એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં પર્વતારોહકોએ એવરેસ્ટના શિખર પર પગ મૂક્યો છે. હાડ થીજવતી ઠંડી, ભયાનક બરફના તોફાનો અને ઓક્સિજનની ભારે અછત જેવા જીવલેણ પડકારોને માત આપીને એક જ બુધવારે આશરે 275 સાહસિકો "વિશ્વની છત" તરીકે ઓળખાતી આ ટોચ પર પહોંચવામાં સફળ રહ્યા હતા. નેપાળના પ્રવાસન વિભાગના અધિકારીઓએ આ ઘટનાને માઉન્ટ એવરેસ્ટના ઇતિહાસની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે. અત્યાર સુધીનું સૌથી મોટું ચઢાણ સામાન્ય રીતે માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે બે મુખ્ય માર્ગો ઉપલબ્ધ છે.એક નેપાળ તરફનો દક્ષિણ ભાગ અને બીજો ચીનના તિબેટ પ્રદેશ તરફનો ઉત્તર ભાગ. જોકે, આ વર્ષે ચીને પોતાના તરફના તમામ માર્ગો બંધ રાખ્યા હોવાથી પર્વતારોહકો માટે નેપાળનો રસ્તો જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. પ્રવાસન વિભાગના પ્રવક્તા હિમલ ગૌતમના જણાવ્યા અનુસાર, સત્તાવાર આંકડાઓ અને પર્વતારોહકોના ફોટોગ્રાફ્સની ચકાસણી હજુ બાકી છે, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ આ એક જ દિવસમાં થયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ચઢાણ છે. વસંત ઋતુની આ સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં માર્ગદર્શકો (ગાઈડ) અને પર્વતારોહકો મળીને કુલ 600 જેટલા લોકો એવરેસ્ટ સર કરી ચૂક્યા છે. 1953 માં પહેલીવાર એવરેસ્ટર પર મેળવ્યો હતો વિજય વર્ષ 1953 માં જ્યારે સર એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે શેરપાએ પહેલીવાર એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો, ત્યારથી નેપાળ માટે પર્વતારોહણ એ માત્ર સાહસ નથી, પરંતુ અર્થતંત્ર અને આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે. આ વર્ષે નેપાળ સરકારે રેકોર્ડબ્રેક 492 પર્વતારોહણ પરમિટ જારી કરી છે. આના કારણે પર્વતની તળેટીમાં આવેલા બેઝ કેમ્પમાં તંબુઓનું એક આખું મોટું શહેર વસી ગયું છે. ઓક્સિજન અછતને કારણે આ ચઢાણ કપરૂં પરંતુ, આ ઐતિહાસિક રેકોર્ડની સાથે એક મોટી ચિંતા પણ સામે આવી રહી છે. નિષ્ણાતોના મતે, એવરેસ્ટ પર પર્વતારોહકોની વધતી જતી સંખ્યા ‘ટ્રાફિક જામ’ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી રહી છે. 8,849 મીટરની ઊંચાઈએ પર્વતારોહકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, જે અત્યંત જોખમી છે. જો આવા સમયે અચાનક હવામાન બગડે, તો ઓક્સિજનની અછતને કારણે આ ભીડ જીવલેણ સાબિત થઈ શકે છે. જૂનના પ્રથમ સપ્તાહમાં આ સિઝન પૂરી થવા જઈ રહી છે, ત્યારે પ્રકૃતિના આ મનમોહક અને પવિત્ર શિખરની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર વિચારણા કરવી અનિવાર્ય બની ગઈ છે. આ પણ વાંચોઃ Cabinet Meeting : સેવા તીર્થમાં આયોજિત મંત્રીઓની બેઠક સાડા ચાર કલાક ચાલી, વડાપ્રધાન મોદીએ આપ્યા આ નિર્દેશ
Click here to Read more
