વિજય માલ્યા અને નીરવ મોદીની ઊંઘ હરામ કરનાર સત્યબ્રત કુમાર એ કેમ લીધું અચાનક VRS?
4 days ago
જ્યારે પણ દેશમાં મોટા આર્થિક ગુનાઓ કે બેન્કિંગ કૌભાંડોની વાત આવે છે, ત્યારે તપાસ એજન્સી ઇડી (ED) એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) નું નામ સૌથી પહેલા સામે આવે છે. પરંતુ આ એજન્સીમાં એવા કેટલાક નીડર અને બાહોશ અધિકારીઓ કામ કરી રહ્યા હોય છે, જે પડદા પાછળ રહીને આખા કેસનું ચિત્ર બદલી નાખે છે. આવા જ એક પાવરફુલ અધિકારી છે સત્યબ્રત કુમાર (Satyabrata Kumar). દેશની બેંકોને હજારો કરોડોનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યા (Vijay Mallya) અને હીરા વેપારી નીરવ મોદી (Nirav Modi) ની ઊંઘ હરામ કરનાર આ ઓફિસર સત્યબ્રત કુમાર કોણ છે અને તેમની તપાસ કરવાની શૈલી કેમ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે, આ તમામ વિગતો જાણીએ એ પૂર્વે આ એમના વિશે ટૂંકમાં આ ત્રણ પોઇન્ટ દ્વારા સમજીએ. ચર્ચામાં કેમ છે?: ભારતના બે સૌથી મોટા બેન્કિંગ ફ્રોડના આરોપીઓ વિજય માલ્યા અને નીરવ મોદીને લંડનની કોર્ટ સુધી ખેંચી જવામાં ED ના જે અધિકારીની સૌથી મોટી ભૂમિકા રહી છે, તે નામ છે સત્યબ્રત કુમાર. નીડર ઇન્વેસ્ટિગેશન: કડક આઇઆરએસ (IRS) અધિકારી તરીકે ઓળખાતા સત્યબ્રત કુમારે કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ અને કિંગફિશર એરલાઇન્સ લોન ડિફોલ્ટ કેસના મૂળ સુધી પહોંચીને મજબૂત ચાર્જશીટ તૈયાર કરી હતી. વિદેશમાં ભારતની જીત: લંડનની અદાલતોમાં ચાલેલી પ્રત્યાર્પણ (Extradition) ની કાનૂની લડાઈમાં તેમની ટીમે રજૂ કરેલા પુરાવાઓ એટલા સચોટ હતા કે બ્રિટિશ કોર્ટે પણ બંને ભાગેડુઓના પ્રત્યાર્પણને મંજૂરી આપવી પડી હતી. કોણ છે સત્યબ્રત કુમાર? સત્યબ્રત કુમાર ભારતીય મહેસૂલ સેવા (IRS - Indian Revenue Service) 2004 ની બેચના વરિષ્ઠ અને અત્યંત પ્રતિષ્ઠિત અધિકારી છે. મહત્વની જવાબદારી: તેઓ લાંબા સમય સુધી ED ના મુંબઈ ઝોનલ ઓફિસમાં જોઈન્ટ ડિરેક્ટર (Joint Director) તરીકે કાર્યરત રહ્યા હતા. સ્પેશિયાલિટી: નાણાકીય હેરાફેરી, મની લોન્ડરિંગ અને પિલ્ફરેજ (વિદેશી ખાતાઓ પર નજર) ના કેસો ઉકેલવામાં તેમને એક્સપર્ટ માનવામાં આવે છે. પાવરફુલ પોઝિશન પર હોવા છતાં તેઓ મીડિયાની લાઈમલાઈટથી દૂર રહીને શાંતિથી પુરાવાઓ એકઠા કરવા માટે જાણીતા છે. સત્યબ્રત કુમાર એ કેમ લીધું VRS ? નીડર અને બાહોશ અધિકારી સત્યબ્રત કુમારના કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસનું નેતૃત્વ કર્યું હતું. બાદમાં તેમને પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે હવે તેમણે નિયત સર્વિસ પિરિયડ પુરો થાય તે પહેલા જ નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે. આ પાછળ તેમના દ્વારા કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે અંગત કારણોસર અને અંગત હિતોને કારણે આ નિર્ણય લીધો છે. સત્યબ્રત કુમારે લગભગ 12 વર્ષ સુધી ઇડીમાં મહત્વની કામગીરી નિભાવી. મુંબઈમાં ઇડીના પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલયના વડા તરીકે, તેમણે ઘણા હાઇપ્રોફાઇલ કેસોની તપાસનું નેતૃત્વ કર્યું હતું. નીરવ મોદી અને વિજય માલ્યા કેસ: ગેમ ચેન્જર ભૂમિકા જ્યારે નીરવ મોદી અને વિજય માલ્યા ભારત છોડીને લંડન ભાગી ગયા, ત્યારે દેશમાં એવું વાતાવરણ હતું કે હવે આ અબજોપતિઓ ક્યારેય ભારતીય કાયદાના સિકંજામાં નહીં આવે. પરંતુ સત્યબ્રત કુમારના નેતૃત્વમાં ED ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ અશક્ય કામને શક્ય બનાવી બતાવ્યું. મજબૂત પુરાવા: સત્યબ્રત કુમારે કિંગફિશર એરલાઇન્સ અને પંજાબ નેશનલ બેન્કના શેલ કંપનાઓના નેટવર્કને ટ્રેક કર્યું. તેમણે વિદેશી બેંકોમાંથી એવા સચોટ દસ્તાવેજો મેળવ્યા જેને કોર્ટમાં નકારી ન શકાય. લંડનની કોર્ટમાં ધારદાર રજૂઆત: જ્યારે બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) ભારતીય એજન્સીઓ વતી લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ લડી રહી હતી, ત્યારે સત્યબ્રત કુમાર પોતે દસ્તાવેજોની બ્રીફકેસ લઈને લંડનની કોર્ટમાં હાજર રહેતા હતા. બ્રિટિશ જજો પણ તેમની ફાઇલિંગ અને ડેટા જોઈને પ્રભાવિત થયા હતા. પ્રત્યાર્પણની મંજૂરી: નીરવ મોદી અને વિજય માલ્યાના પ્રત્યાર્પણ (Extradition) માટે લંડન કોર્ટ તરફથી જે લીલી ઝંડી મળી, તેની પાછળ કુમારની ટીમે રાત-દિવસ એક કરીને બનાવેલી મજબૂત ચાર્જશીટ જ મુખ્ય આધાર હતી. આ પણ વાંચો । નીરવ મોદી કેસ: ભારત કેવી રીતે જીત્યું પ્રત્યાર્પણનો જંગ અને હવે આગળ શું થશે? સત્યબ્રત કુમારના કરિયરના મુખ્ય હાઈલાઈટ્સ સર્વિસ કેડર: IRS (Indian Revenue Service) - 2004 બેચ મુખ્ય હોદ્દો: પૂર્વ જોઈન્ટ ડિરેક્ટર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), મુંબઈ ઝોન કિંગફિશર કેસ (માલ્યા): 9,000 કરોડના ડિફોલ્ટ કેસમાં માલ્યાની મિલકતો જપ્ત કરાવી અને કેસ મજબૂત કર્યો. PNB કૌભાંડ (નીરવ મોદી): 13,000 કરોડના હીરા કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બેંક ખાતાઓ ફ્રીઝ કરાવ્યા. તપાસની શૈલી: ઝીણવટભર્યું ઓડિટ, કાયદાકીય પકડ અને મીડિયાથી અંતર રાખીને સચોટ એક્શન. આ અધિકારીઓ પણ વહેલા સેવાનિવૃત્ત થયા જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઇડી સાથે સંકળાયેલા કોઈ વરિષ્ઠ અધિકારીએ પદ છોડ્યા પછી તરત જ સરકારી નોકરી છોડવાનો નિર્ણય લીધો હોય. જુલાઈ 2025 માં, ઇડીના ભૂતપૂર્વ જોઈન્ટ ડિરેક્ટર કપિલ રાજે પણ વહેલી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કપિલ રાજનું નામ મની લોન્ડરિંગના ઘણા પ્રખ્યાત કેસોની તપાસ સાથે જોડાયેલું છે. જેમાં હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલને લગતા કેસનો સમાવેશ થાય છે.
Click here to Read more
