Vijay Thalapathy: મુખ્યમંત્રી બન્યાના 10 દિવસ બાદ જ વિજય થલાપતિની ખુરશી સંકટમાં! જાણો કેમ
2 weeks ago
તમિલનાડુના રાજકારણમાં એક નવો અને મોટો ગરમાવો આવી ગયો છે. સીએમ સી. જોસેફ વિજયની નવી સરકાર બન્યાને હજુ 10 દિવસ પણ પૂરા નથી થયા, ત્યાં જ તેમનું સિંહાસન ડગમગવા લાગ્યું છે. ડાબેરી પક્ષ CPIM દ્વારા સરકારમાંથી ટેકો પાછો ખેંચવાની ખુલ્લી ધમકી આપવામાં આવતા રાજ્યમાં મોટું રાજકીય તોફાન ફાટી નીકળ્યું છે. આ વિવાદ એઆઈએડીએમકે (AIADMK) ના બળવાખોર ધારાસભ્યોને વિજયના મંત્રીમંડળમાં સામેલ કરવાની અટકળોને કારણે શરૂ થયો છે. શા માટે નારાજ છે CPIM? CPIM ના રાજ્ય સચિવ પી. શનમુગમે મંગળવારે એક મોટું નિવેદન આપીને સીએમ વિજયની ચિંતાઓમાં ભારે વધારો કરી દીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો મુખ્યમંત્રી વિજયની પાર્ટી 'તમિલનાડુ વેટ્ટી કઝગમ' (TVK), એઆઈએડીએમકે અથવા તેના કોઈ પણ જૂથ સાથે મળીને સરકાર ચલાવવાનો નિર્ણય કરશે, તો ડાબેરી પક્ષો પોતાના સમર્થન પર ફરીથી વિચાર કરશે. પી. શનમુગમે કહ્યુ કે..... પી. શનમુગમે વધુમાં ઉમેર્યું કે, તમિલનાડુની જનતા નવી ચૂંટણીનો સામનો કરવા તૈયાર નહોતી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને ભાજપ પાછલા બારણેથી સત્તા મેળવે તે અમે ઈચ્છતા નહોતા. આ ઉપરાંત ચૂંટણીનો જનાદેશ ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) બંનેની વિરુદ્ધમાં હતો. જનતાના આ નિર્ણયને માન આપીને જ ડાબેરી પક્ષો અને વીસીકે (VCK) એ ટીવીકેને બહારથી ટેકો આપ્યો હતો. હવે જો સીએમ વિજય એઆઈએડીએમકેના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપશે, તો તે જનતાના જનાદેશ અને સ્વચ્છ સરકાર ચલાવવાના તેમના વચનની સીધી વિરુદ્ધ હશે." બેઠકોનું ગણિત અને સીએમ વિજયની મૂંઝવણ તમિલનાડુની ચૂંટણીમાં 108 બેઠકો જીતીને TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ તે બહુમતીના આંકડાથી થોડી દૂર રહી ગઈ હતી. આ સ્થિતિમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વીસીકે અને આઈયુએમએલ (IUML) ના સમર્થનથી વિજયે સરકાર બનાવી હતી. હવે પોતાની સરકારને લાંબા સમય સુધી સ્થિર અને મજબૂત રાખવા માટે મુખ્યમંત્રી વિજય એઆઈએડીએમકેમાંથી બળવો કરીને વિશ્વાસ મત દરમિયાન ક્રોસ-વોટિંગ કરનારા 25 ધારાસભ્યોને સરકારમાં જોડાવાની ઓફર આપી રહ્યા હોવાના અહેવાલો છે. ગંભીર પરિસ્થિતિને સંતુલિત કરવા કરી રહી છે મનોમંથન જો CPIM અને તેના સાથી પક્ષો (કોંગ્રેસ સિવાયના ચાર પક્ષોના 8 ધારાસભ્યો) પોતાનો ટેકો પાછો ખેંચી લે, તો પણ સીએમ વિજય પાસે 25 બળવાખોર એઆઈએડીએમકે ધારાસભ્યો અને એક એએમએમકે (AMMK) ધારાસભ્યના કારણે સરકાર બચાવવા પૂરતું સંખ્યાબળ રહેશે. જો કે, રાજકીય મોરચે આ નિર્ણયથી જનતા વચ્ચે ઘણો નકારાત્મક સંદેશ જઈ શકે છે. આ જ કારણ છે કે હાલમાં ટીવીકેની કોર ટીમ આ ગંભીર પરિસ્થિતિને સંતુલિત કરવા માટે પડદા પાછળ સતત મનોમંથન કરી રહી છે. આ પણ વાંચોઃ મે અને જૂનમાં જ કેમ અચાનક ધરતી આટલી તપવા લાગે છે? જાણો અસહ્ય ગરમી પાછળનું કારણ!
Click here to Read more