Supreme court News: “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો?" જજ કેમ ભડક્યા?
4 hours from now
Delhi : સુપ્રીમ કોર્ટે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ પિતાની મિલકતમાંથી પુત્રને બેદખલ કરવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન હાઈકોર્ટના તે નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં પિતાના પક્ષમાં બેદખલીનો આદેશ આપવામાં આવ્યો હતો.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ વિશેષ અનુમતિ અરજી (SLP)ની સુનાવણી દરમિયાન પુત્રને કડક ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે ટકોર કરતાં કહ્યું હતું કે, “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો? આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જાઓ અને તમારા પિતાની સંભાળ રાખો. તેમના જીવનનો જેટલો સમય બાકી છે, તેમને શાંતિથી જીવવા દો.”જ્યારે અરજદારના વકીલ વરુણ ભાટીએ દલીલ કરી કે તેમના મુકદ્દમાકારનો પણ આ વિવાદિત મિલકતમાં હક છે, ત્યારે જસ્ટિસ નાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ના, આગળનો કેસ.” વકીલે વધુમાં દલીલ કરી કે અરજદાર પર તેની પત્ની અને પુત્રના ભરણ-પોષણની જવાબદારી છે, પરંતુ અદાલતે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.શું છે સમગ્ર વિવાદ?આ મામલો રાજસ્થાનના બિલાડા સ્થિત એક રહેણાંક મિલકત સાથે સંબંધિત છે. પિતાએ ભરણ-પોષણ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને આરોપ મૂક્યો હતો કે તેમનો પુત્ર તેમને હેરાન કરે છે. તેમણે પોતાના જ ઘરમાં શાંતિથી રહેવા માટે સુરક્ષાની માંગ કરી હતી.ટ્રિબ્યુનલએ ફેબ્રુઆરી 2024માં પિતાની અરજી સ્વીકારી અને પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચ અને પછી ડિવિઝન બેન્ચે પણ આ આદેશને યથાવત રાખ્યો હતો.“પૈતૃક મિલકત પર મારો પણ હક છે”સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પોતાની અરજીમાં પુત્રે દાવો કર્યો હતો કે આ ઘર એક પૈતૃક અને અવિવાજિત પારિવારિક મિલકત છે, જે મૂળરૂપે 1986માં તેની દાદીના નામે ખરીદવામાં આવ્યું હતું. તેનો તર્ક હતો કે દાદીના અવસાન પછી આ મિલકત અનેક કાનૂની વારસદારોમાં વહેંચાઈ ગઈ છે, તેથી તેને માત્ર તેના પિતાની વ્યક્તિગત મિલકત ગણાવી શકાય નહીં.તે પોતાની પત્ની અને બાળકો સાથે વર્ષોથી ત્યાં રહે છે અને મિલકતમાં તેનો પણ હક છે. ઘર ખાલી કરવાના આદેશથી તેના પરિવારનું એકમાત્ર રહેઠાણ છીનવાઈ જશે તેવી દલીલ પણ તેણે કરી હતી.સુપ્રીમ કોર્ટે કોઈ દલીલ સ્વીકારી નહીંઅરજીમાં બેદખલીના કારણે અરજદારની પત્ની અને બાળકો પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે મિલકતના માલિકી હક અંગે કાયદેસર નિર્ણય થયા વિના કોઈ સહ-માલિકને આવી સંક્ષિપ્ત કાર્યવાહી દ્વારા ઘરમાંથી બહાર કાઢી શકાય કે નહીં.પરંતુ સુપ્રીમ કોર્ટને રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ મજબૂત આધાર દેખાયો નહીં. અદાલતે અરજી ફગાવી દીધી અને વરિષ્ઠ નાગરિક પિતાના પક્ષમાં આપવામાં આવેલા બેદખલીના આદેશને અંતિમ રીતે યોગ્ય ઠેરવ્યો.
Click here to Read more